Wednesday, 17 August 2011

ઊંઘ નથી આવતી?



વયસ્ક વ્યક્તિને લગભગ ૬ થી ૮ કલાકની ઊંઘ જરૂરી હોય છે. જોકે વૃદ્ધાવસ્થામાં ઊંઘ ઓછી થઇ જતી હોય છે. ઊંઘ ઓછી આવવી અથવા ન આવવી એ બીમારીનું લક્ષણ છે. તેની અસર દર્દીના સમગ્ર શરીર પર પડે છે. સારી ઊંઘ એ સારા સ્વાસ્થ્યની નિશાની છે. સારી ઊંઘ ન આવવા માટે વિવિધ શારીરિક તથા માનસિક કારણો જવાબદાર હોય છે. વૃદ્ધાવસ્થામાં મુખ્યત્વે પેશાબને લગતી તકલીફને કારણે અનિયમિત ઊંઘ આવતી હોય છે, પરંતુ ઊંઘને લગતી બીમારીમાં સૌથી સબળ કારણ ચિંતા અને અવિરત વિચારો છે. વ્યક્તિના સ્વભાવની સીધી અસર તેની રોજિંદી ક્રિયાઓ પર પડતી હોય છે.

વધુ પડતી લાગણીશીલ વ્યક્તિને કોઇ વાતનો કે ઘટનાનો આઘાત લાગ્યો હોય તો પણ અનિદ્રાની તકલીફ થતી હોય છે. ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓમાં દર્દીને અનિદ્રા રહે છે. હોમિયોપેથીમાં અનિદ્રાની તકલીફને દૂર કરવા માટે તેના મૂળ કારણ સુધી પહોંચવા દર્દીને તેનો સમગ્ર ઈતિહાસ જણાવવાનું કહેવામાં આવે છે. શારીરિક તથા માનસિક લક્ષણોની સંપૂર્ણ વિગતોનું બારીકાઇથી અધ્યયન કરવામાં આવે છે. દર્દીની લાઇફ-સ્ટાઇલમાં જરૂરી ફેરફારો સૂચવવામાં આવે છે.

તમામ લક્ષણોને આધારે હોમિયોપેથીક દવા નક્કી કરવામાં આવે છે. હાયોસાયમસ, લેકેસીસ, આર્સેનિક આલ્બ, નક્સવોમિકા, સીલીસિયા, કોફિયા વગેરે દવાઓ અનિદ્રાનું નિરાકરણ લાવવામાં ઉપયોગી છે. આ ઉપરાંત બાયોકેમિક દવાઓ કાલીફોસ, ફેરમફોસ, સીલીસિયા વગેરે પણ ઉપયોગી છે. જો ફક્ત વૃદ્ધાવસ્થાને કારણે ઊંઘની તકલીફ હોય તો સીફીલીનમ, બરાયટા કાર્બ, પેસીફ્લોરા, ઓપીયમ, સલ્ફર જેવી દવાઓ ઉપયોગમાં લેવાનું કહેવામાં આવે છે. દવા સિવાય સામાન્ય કસરત, યોગાસન, સાદો ખોરાક, નિયમિતતા, શોખના વિષયને વિકસાવવો અને શારીરિક શ્રમ વધારે ફાયદાકારક હોય છે.

No comments:

Post a Comment