Friday, 30 September 2011

બાળકોમાં હીપેટાઇટિસ એ (સાદો કમળો)

નાનાં બાળકો બહારનો ખોરાક અને પાણી પીએ તો ઉનાળા દરમિયાન તેમને કમળો થવાની શક્યતા રહે છે.

ઉનાળો શરૂ થતાં જ બાળકોમાં પાણી તથા ખોરાકજન્ય રોગો જેમ કે ઝાડા-ઊલટી, ટાઇફોઇડ તથા સાદો કમળો (હીપેટાઇટિસ-એ)ના કિસ્સા ખૂબ વધી જતા હોય છે. બાળકોને આ રોગથી બચાવવા (અથૉત્ Prevention) શક્ય હોવાથી તેના વિશે જ્ઞાન મેળવવું જરૂરી છે.

લક્ષણો

બાળકને ખૂબ થાક લાગે છે, સૂઇ રહે છે. બે-ત્રણ દિવસથી રમતું નથી. ભૂખ ઓછી લાગે છે. ઊલટી-ઉબકાં આવે છે તેને પેટમાં દુ:ખે છે. આંખ, ચામડી તથા પેશાબમાં પીળાશ દેખાય. શરીરે ચળ આવવી તથા ફિક્કો ઝાડો થવો. આ સાદા કમળાનાં લક્ષણો છે.

ચેપનો સ્ત્રોત

દુષિત આહાર તથા પાણી ખાસ કરીને કાચો, અધકચરો આહાર જેમ કે ફળો તથા શાકભાજી દ્વારા. બરાબર રાંધેલો હોય પરંતુ કમળાથી ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા પીરસાતા આહારથી પણ થઇ શકે છે.

જોખમ કોને રહે?

શાળા, આંગણવાડી, બાળસંભાળ કેન્દ્રો તથા સ્વિંમગપૂલ વગેરેમાં ચેપગ્રસ્ત વ્યક્તિનો સંસર્ગ અથવા તેમનાથી પીરસાતા ખોરાક દ્વારા.

નિદાન

લોહીમાં SGPT ટેસ્ટથી તથા પેશાબમાં બાઇલ સોલ્ટ, બાઇલ પિગ્મેન્ટ નામની તપાસથી હીપેટાઇટિસ છે કે નહીં તે જાણી શકાય. સીરમ બીલીરૂબીન નામની તપાસથી રોગની ગંભીરતા તથા ઓસ્ટ્રેલિયા એન્ટિજન નામની તપાસથી કમળો A પ્રકારનો (સાદો) છે કે B પ્રકારનો (ઝેરી) છે તે જાણી શકાય. રોગનાં વાહકો તથા રોગના અન્ય કોમ્પ્લિકેશન જાણવા અન્ય એન્ટિબોડીઝ ટેસ્ટ હોય છે.

સારવાર

બાળકો માટે Bed rest શક્ય નથી પરંતુ ઘરમાં જ રમે તથા આરામ કરે. વધુ પ્રમાણમાં ગ્લુકોઝ તથા ઇલેકટ્રોલાઇટયુક્ત પાણી આપવું. ચરબીવિહીન ખોરાકથી લગભગ ૨-૩ અઠવાડિયાંમાં દર્દીને સારું થઇ જાય. ખૂબ ઊલટીઓ થાય, પૂરતા પ્રમાણમાં પ્રવાહી લઇ ન શકતા બાળકોને જરૂર લાગે તો દાખલ પણ કરવામાં આવે. આ રોગને થતો અટકાવી શકાય છે. યોગ્ય ચોખ્ખાઇ, વ્યક્તિગત સ્વચ્છતા, ચોખ્ખો તાજો રાંધેલો-ઢાંકેલો ખોરાક, ઉકાળેલું પાણી તથા ડોક્ટરની સલાહ પ્રમાણે રસી અપાવવા જેવી સંભાળ રાખવાથી રોગને થતો અટકાવી શકાય.

No comments:

Post a Comment