Thursday, 21 July 2011

આહારની ખોટી આદત આપણી દુશ્મન


૨૧મી સદીના શહેરીજનો માટે એક ટંકનું ભોજન પર્યાપ્ત

આખો દિવસ ખા-ખા કરવાની ટેવ ખતરનાક

જહોન ડોન નામના ફિલસૂફે ૪૦૦ વર્ષ પહેલાં કહેલું કે આખી જિંદગી આપણે એવી રીતે જ ખાનપાન અને રહેણીકરણી વર્તીએ છીએ કે જાણે ખુદ ફાંસીને માંચડે જઈએ છીએ. ગાંધીજીના કુદરતી ઉપચાર કેન્દ્રમાં એક ચેતવણીનું સૂત્ર હતું કે આપણા દાંતથી જ આપણી કબર ખોદીએ છીએ. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં દરેક ચોથો કે પાંચમો જણ તમાકુની પોટલીઓનો ડુચો મોંમાં ભરે છે. તે આદતને જવા દો એ લોકો તો માનવાના જ નથી. ગળાનું કે જીભનું કેન્સર થશે ત્યારે જ સખણા રહેશે. પણ આપણા રોજિંદા ખાનપાનમાં આપણે ખોટો આહાર અને ખાસ તો સવારે આપણે ઠાંસોઠાંસ દેશી કે વિદેશી નાસ્તો કરીએ છીએ. તેમાં ભરપૂર તેલવાળા થેપલાં કે ગાંઠિયા કે બ્રેડ કે કોઈ પણ અનાજનું ખાદ્ય હવે ૨૧મી સદીમાં તમને પોષણ નહીં પણ લાંબે ગાળે પેટ-આંતરડા અને શ્વાસના રોગ આપનારું થાય છે.


સુરત-અમરેલીમાં બી.વી. ચવ્હાણ નામના એક અનુભવી એન્જિનિયર જેઓ હવે આહારશાસ્ત્રી બન્યા છે તે તો ભારપૂર્વક કહે છે કે બાર વાગ્યા સુધી માત્ર પાણી જ પીવું જોઈએ. અગર ન રહેવાય તો ફળના રસ પીઓ પણ દૂધ, દહીં કે બીજો કોઈ નાસ્તો ન કરો તો કદી બીમાર નહીં પડો. સાત્વિક અને સૂક્ષ્મ આહારનું લોજિક વર્ષોથી લોકોને અમે સમજાવતા આવીએ છીએ પણ જ્યોર્જ સન્તાયને કહ્યું છે તેમ હેબિટ ઇઝ સ્ટ્રોંગર ધેન રઝિન. સાચી-તર્કસંગત વાત કરતાં માણસની આદત વધુ મજબૂત છે. છેલ્લાં ૧૦૦ વર્ષમાં આહાર, ડાયેટ, ઈટિંગ હેબિટ અને બ્રેકફાસ્ટ બાબતમાં ડઝનબંધ આહારશાસ્ત્રીઓ પોતપોતાની આરોગ્યપ્રદ આહારની થિયરી લઈને આવ્યા છે. કેટલાકે તે અપનાવી તે સુખી થયા. બાકી આજે જગતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આપણે ખાવાપીવાની ખોટી આદતથી ડોક્ટરોના બંગલા, વાડીઓ અને બેન્ક બેલેન્સ વધારીએ છીએ.

સૌપ્રથમ તો ૨૦મી સદીમાં રશિયન વિજ્ઞાની આઈ. વી. ડેવીડોવસ્કાએ ‘ફૂડ એડિકટ’ શબ્દ પ્રચલિત કર્યો. એમણે રાંધેલા ખોરાકની આદત છોડવા જર્મની, સ્વિત્ઝરલેન્ડ, રશિયા અને ઈરાનના લોકોને કહેલું કે રાંધેલો ખોરાક જ બધાં દદોઁ પેદા કરે છે. તમે માત્ર કાચો-ખોરાક, ગાજર, કાકડી, પાલખ, મૂળા, મેથીની ભાજી વગેરે ખાઓ અને ફળો ખાઓ. ફણગાવેલા મગ-ચણા (દેશી) ખાઓ. તમે રાંધેલો ખોરાક સ્વાદિષ્ટ લાગતાં ઓવરઈટિંગ કરશો પણ કાચો આહાર (રો ફૂડ-ઈટિંગ) તમે વધુ પડતો ખાઈ જ શકશો નહીં. રશિયન આહારશાસ્ત્રી ડોક્ટરને ઈરાનના તહેરાન શહેરમાં બોલાવી ત્યાંના રોયલ ડોક્ટર એ. ટી. હોવાનેશિયને ઈરાનિયન સુંદરીથી માંડીને ઘણા રાજ્યકર્તાઓને કાચો આહાર લેતા કર્યા. પછી તેમણે ‘રો ઈટિંગ’નું પુસ્તક લખ્યું. તેમણે દાવો કર્યો કે કાચો આહાર ખાવાથી ૭૫ ટકા ડોક્ટરોની જમાતને નાબૂદ કરી શકાશે.

માનવજાત ખાનપાનની રેઢિયાળ ટેવમાંથી સુધરવાને બદલે બગડતી જાય છે. આજે અમેરિકા સમૃદ્ધ છતાં સૌથી વધુ રોગિષ્ટ છે. ત્યાં ન્યુ યોર્ક ટાઈમ્સના કહેવા મુજબ અમેરિકનો જુદા જુદા ડાયેટ પ્રોગ્રામમાં દર વર્ષે ૪૦ અબજ ડોલર ખર્ચે છે. અમેરિકામાં તો દર પંદર-વીસ વર્ષે નવો આહારનો આઈડિયા લાવી તેમાંથી કરોડો કમાય છે. ૧૮૨૦થી આ આહારના ઊંટ વૈધ્યો કમાતા આવ્યા છે. એક પાદરી કહેતા કે મસાલાવાળો ખોરાક છોડો તો સેક્સની આદત છુટે અને સેક્સની આદત છુટતાં તંદુરસ્ત, તગડા થવાશે. તે પછી વળી કવિ લોર્ડ બાયરને કહ્યું કે માત્ર વીનેગર એટલે કે ખાટા સિરકાનું સરબત અગર લીંબુપાણી- મધનું સરબત પીને જ જિંદગી ગુજારો. તેના પછી પ્રિસ્બેટેરિયન પાદરીએ ચા-કોફી, દૂધ અને દહીં ખાવાનો નિષેધ કરીને માત્ર કેળાં અને મલાઈ વગરનું સ્કીમ્ડમિલ્ક જ લેવાની ભલામણ કરી.

ખાસ કરીને ડૉ.. માઈક વોલ્ડનેનો બ્રેકફાસ્ટ પ્લાન દ્વારા હજારો યુવાન છોકરીઓના મોઢાંના ખીલ સારા કર્યા છે. તેમણે છોકરાઓને ખાસ કહ્યું કે હવે ઉષ્ણવીર્યતા અને ખોટા ખોરાકથી છોકરાઓને (બોયઝ) વધુ ખીલ થશે એટલે યુવાનો સવારનો નાસ્તા છોડે. સવારે માત્ર લીંબુ, મધ, પાણી અગર સંતરા, મોસંબી કે મળે તો ગ્રેપ ફ્રૂટ અને અનાનસનો રસ પીઓ પણ કોઈ અનાજ કે તળેલા જંક ફૂડ કે દૂધ-દહીં કે દૂધવાળી વસ્તુ ચા-નાસ્તામાં લેશો નહીં. દૂધ વગરની ચા-કોફી મોડેથી લઈ શકો. ખીલવાળાને આપણા જુના આયુર્વેદીક રિવાજ પ્રમાણે ડૉ.. માઈક વોલ્ડને તાંબાના લોટામાં રાત્રે ભરેલા પાણીનું ઉષ:પાન (૮થી ૧૨ ઔંસ) પીવાનું કહ્યું છે. ડૉ.. મર્ટલ રીડએ તો ‘નો બ્રેકફાસ્ટ એન્ડ ગેટ રીડ ઓફ એકને’ (ખીલ) નામનું પુસ્તક પણ લખ્યું છે.

જગતભરને ઉલ્લુ બનાવીને જંક ફૂડ અને સવારના તૈયાર પેકેટના નાસ્તા લઈને મલ્ટિનેશનલ કંપનીઓ ભારતમાં ખાબકી છે. તેનો R ૧૦,૦૦૦ અબજનો ધંધો ચલાવવા ડોક્ટરો પાસે ખોટો પ્રચાર કરાવે છે કે ‘બ્રેકફાસ્ટ ઈઝ મોસ્ટ ઈમ્પોરટન્ટ મીલ ઓફ ધ ડે.’ અર્થાત્ સવારનો નાસ્તો આખા દિવસની એનર્જી માટે ખૂબ ખૂબ મહત્વનો છે. આવા ઊઠાં ભણાવ્યા છે. પણ સાહેબો! હું ગામડામાં રહ્યો છું. મારો ખેડૂત વાડીએ સવારનું શિરામણ કરતો તે પહેલાં તો તે સૂર્યોદય પહેલાં રજકા કે ડુંગળીના પાકને પાણી પાવા કોસ ચલાવી ચૂકયો હોય કે બે-ત્રણ વીઘા જમીન ખેડી ચૂક્યો હોય પછી જ તેની ઘરવાળી ‘ભાત’ (ભાતું) લાવે તે ખાવા બેસતો. આપણે શહેરના લોકો કોઈ ગાડાં ચલાવતા નથી. ભારા ચગવતા નથી. હળ હાંકતા નથી. અરે! બિલ્ડિંગના ૧લે માળે જવા માટે પણ લિફ્ટનો ઉપયોગ કરીએ છીએ અને જો લિફ્ટ ખોટવાઈ ગઈ હોય તો આસમાન તૂટી પડ્યું હોય તેવી બૂમાબૂમ થાય છે. આવા લોકોને માટે બ્રેકફાસ્ટની બિલકુલ જરૂર નથી. માત્ર નાસ્તો છોડવો જ અનિવાર્ય છે. સવારે મેં કદી નાસ્તો કર્યો નથી અને લેખક કે કવિ- સર્જક કે વિચારક કદી જ ભરેલા પેટે લખી શકતો નથી.

ડૉ.. પોલ સી. બ્રેગે ‘ધ મિરેકલ ઓફ ફાસ્ટિંગ’ તેમ જ ‘નો બ્રેકફાસ્ટ પ્લાન’ વિશે પુસ્તકો લખ્યાં છે. ડૉ.. પોલ સી. બ્રેગ કહે છે કે ખરેખર તો ૨૧મી સદીના શહેરીજનોને દિવસમાં માત્ર એક વખતનું ભોજન પર્યાપ્ત છે. આખો દિવસ-સવારના પહોરથી જ ખા ખા કરવાની ટેવ ખતરનાક છે. તેમણે કહેલું કે બ્રેકફાસ્ટ ઇઝ એ વર્થલેસ મીલ-અર્થાત્ સવારનો નાસ્તો તદ્દન ફાલતું ખાણું છે. તમે રાત્રે કોઈ એનર્જી વાપરી હોતી નથી. તેથી સવારે નાસ્તાની જરૂર જ નથી. તમે શારીરિક શ્રમ કરો તો જ હક્કનું ખાઓ છો નહીંતર હરામનું!

No comments:

Post a Comment