Friday, 22 July 2011

વધતાં વજન અંગેની આપણી ખોટી માન્યતાઓ


આપણે હંમેશાં વજન વધવા માટે કાર્બોહાઇડ્રેટને જવાબદાર ગણીએ છીએ. પશ્ચિમનું આંધળું અનુકરણ કરવામાં એની પાછળના કારણો અને તેનાં ઊંડાણો ન સમજતાં ફકત છીછરાં તારણ કાઢીએ છીએ.

*રાત્રે કાર્બોદિત પદાર્થો ખાવાથી વજન વધે છે

જ્યારે વધુ કેલરી લઇએ છીએ અને તેને બાળતાં નથી ત્યારે વજન વધે છે. રાત્રે હળવો ખોરાક અવશ્ય ખાવો જોઇએ કારણ કે રાત્રે આપણે ખાસ હલનચલન કરતા નથી પરંતુ ફકત કાર્બોદિત પદાર્થો ન ખાવાથી વજન ઊતરતું નથી કે ખાવાથી વધતું નથી. વધુ પડતું પ્રોટીન શરીરને નુકસાન કરી શકે છે.

*ફેટ-ફ્રી એટલે કેલરી-ફ્રી

આઇસક્રીમ, કેક, બિસ્કિટ વગેરે પર ફેટ-ફ્રીના લેબલ વાંચીને ખાવાનું ચાલુ કરી દેવું નહીં. એવું પણ બને કે ફેટ વગરનું ખાવાનું હોવા છતાં તેમાં કેલરી યથાવત જ રહેતી હોય. આવા પેકેટ લેતાં પહેલાં તેની ઉપર લખવામાં આવેલ લેબલ ચેક કરવા. જેના ઉપર બધી જ ન્યૂટ્રિશન ફેકટ અને કેલરી પણ લખેલી હોય છે તે વાંચીને વસ્તુઓ ખરીદવી. ઘણી વાર લો-ફેટ ફૂડને સ્વાદિષ્ટ બનાવવા તેમાં ઉમેરેલાં એક્સ્ટ્રા ખાંડ, મીઠું, ખટાશ વગેરે શરીરને નુકસાન કરે છે.

*એકલું પ્રોટીન ખાવાથી વજન ઊતરે છે

શરીરમાં પ્રોટીન રિપેરિંગનું કામ કરે છે, તો કાર્બોહાઇડ્રેટ એનર્જી આપે છે, માટે બંને માપસર જરૂરી છે. કાર્બોહાઇડ્રેટ જ્યાં સુધી વધુ પડતા લેવામાં ન આવે ત્યાં સુધી વજન ઉતરતું નથી. નેશનલ વેઇટ કન્ટ્રોલ રજિસ્ટ્રી જણાવે છે કે જે લોકો લો ફેટવાળું કાર્બોહાઇડ્રેટ લે તેઓનો લાંબા સમયે વેઇટલોસ થઇ શકે છે.

*દૂધ-દહીં, ફળફળાદિ ખાવાથી વજન ઘટે છે

દૂધ, દહીં અને ફળફળાદિ દરેક ઉંમરના લોકો માટે વરદાનરૂપ છે, પણ જો તે વધુ પડતાં ફેટવાળાં લેવામાં આવે તો વજન વધે છે. વધુ ફેટવાળું દહીં જો ખાંડ નાખીને ખાવામાં આવે તો આઇસક્રીમ જેટલી કેલરી મળે છે. દહીંમાં કેલ્શિયમ ભરપૂર છે અને વજન ઊતારવામાં મદદરૂપ થઇ શકે છે. ફળમાં કાર્બોહાઇડ્રેટ અને વિટામિન ભરપૂર હોય છે, પણ સાકરનું પ્રમાણ હોવાથી તે પણ પ્રમાણસર જ લેવાં.

*વજન ઘટાડવા માટે મમરા, ખાખરા ઉત્તમ છે

મમરા, ખાખરા વગેરે ડ્રાય અને સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવાથી તે વધુ ખાવાનું મન થયા કરે છે. ઉપરાંત, આવા સૂકા નાસ્તામાં પાણીનો ભાગ હોતો નથી એટલે ખાધા પછી થોડા જ સમયમાં ભૂખ લાગે છે માટે ખાખરાને બદલે ઓછા તેલવાળા થેપલાં અથવા રોટલી ખાવા હિતાવહ છે.

*ગરમ પાણી પીવાથી વજન ઊતરે છે

દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૮-૧૦ ગ્લાસ પાણી પીવું. આપણે ત્યાં ૮-૧૦ મહિના તો ગરમી જ હોય છે. માટે ચોખ્ખું અને શરીરને જોઇતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે.

No comments:

Post a Comment